અર્થહીન તકરાર
Dec 18th 2007'Sufi'Uncategorized
અર્થહીન તકરાર
જે માન્યતામાં જન્મ્યો છું, મને તે લાગે છે સારી
અને સત્ય સુધી તેથી પહોંચ ન થઈ શકી મારી
ખરું ખોટું પરખવા વાપરું છું માન્યતાઓ ને
પરંતુ માન્યતા પર શંકાની આવી નથી વારી
મળી છે વારસામાં માન્યતા જે આજ માનું છું
સગીર વયમાં હૃદય ખાલી હતું ત્યારે બની મારી
સખત પથ્થર સમી છે માન્યતા ને શ્રધ્ધાઓ મારી
મને લાગે છે તેથી બાકીની વસ્તી ભટકનારી
જગતને ક્ષય લાગ્યો અંધ શ્રદ્ધાનો ભયંકર પણ
નથી સુઝી રહી કોઈ દવા ક્ષય દૂર કરનારી
થઈ છે ઉન્નતિ ભૌતિક છતાં કમભાગ્ય જગ તારું
આ ઉન્નતિ માં શક્તિ છે જગતને નષ્ટ કરનારી
ચીરીને પડદો અંધશ્રદ્ધાનો જોશે જો જમાનો તો
નવી વાતો ત્વરિત સુઝશે આ દુનિયાને બદલનારી
નવી વાતો તું કહેતોજા ‘સૂફી’, ચાલુ જમાનાને
તું કરજે વાત, સત્યની ઝલક દુનિયાને દેનારી
‘સૂફી’ પરમાર
1 Comment »
Dr.Hitesh Chauhan on 24 Mar 2009 at 10:23 am #
જય શ્રીકૃષ્ણ ‘સૂફી’ પરમાર ભાઈ,
આપનો આ બ્લોગ ખરેખર સુંદર છે અને આપના આધ્યાત્મિક કાવ્યો ખુબ જ તલસ્પર્શી છે. એક વિનંતી છે આપને આપની આ રચના આજે ૨૪મી માર્ચે વિશ્વ ક્ષય દિન નિમિત્તે મારા બ્લોગ પર મુકવાની પરવાનગી ચાહું છું, આપ મારા બ્લોગની મુલાકાત જરૂરથી લેજો, આપની આ રચના આપના નામે જ તથા આપના આ બ્લોગની લિન્ક સાથે જ રજું કરવામાં આવશે.તેમ છતાં જો આપને આપના કોપીરાઈટનો ભંગ થતો જણાય તો મને જણાવશો હું સત્વરે જ તેને દૂર કરી દઈશ. આશા છે કે આપ લોકજાગૃતિની સાથે ગુજરાતી કાવ્યોનો સંદેશ પહોંચે તેમાં સાથ સહકાર અને માર્ગદર્શન આપશો.
આપનો ડો.હિતેશ ચૌહાણ